
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટના નિયમો હેઠળના ડ્રાઈવિંગ લાયસન્સ સહિતનાં તમામ દસ્તાવેજોની વેલિડિટી (અવધિ) ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધી માન્ય ગણાશે તેવો મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. ભારત સરકાર દ્વારા ઈશ્યુ કરાયેલી એડવાઈઝરીની જાણ રાજ્યના પોલીસ અને આર.ટી.ઓ.ને કરી દેવામાં આવી છે.
કોરોના સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં નાગરિકોને મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના દસ્તાવેજોની વેલીડીટી બાબતે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા એડ્વાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે.
ભારત સરકાર દ્વારા ઈસ્યુ કરવામાં આવેલી નવી એડવાઈઝરી મુજબ વાહનના ફિટનેસ, પરમીટ (તમામ પ્રકાર), લર્નીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અથવા મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના તમામ દસ્તાવેજોની વેલીડિટી તા.૩૦મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.