ગુજરાત માધ્યમિતક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીના કારણે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. ઓનલાઈન પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કે ધોરણ.10ના વિદ્યાર્થીઓને આગામી 22મી જૂનના રોજ માર્કશીટ પ્રાપ્ત થઈ જશે. 20મી જૂન સુધીમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં બોર્ડ દ્વારા માર્કશીટ મોકલી આપવામાં આવશે.
મહત્વનું છે કે, આ વખતે જુલાઈમાં લેવામાં આવનાર પૂરક પરીક્ષામાં એક વર્ગમાં માત્ર 15 જ પરીક્ષાર્થીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેના માટે બોર્ડ દ્વારા આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટ દરેક ડીઈઓ કચેરીમાં તાલુકા પ્રમાણે સેટ તૈયાર કરીને મોકલશે. જેથી તાલુકાના અધિકારીઓ તે સેટ મેળવી રહે. અત્યાર સુધીમાં સ્કૂલોએ જિલ્લા કચેરીમાંથી પ્રમાણપત્રો મેળવવા પડતા હવે તાલુકામાંથી મળી જશે.
જેથી એક સમયે વધુ ભીડ એકઠી થાય નહીં. આ સિવાય બોર્ડ એવી પણ સૂચના આપી છે કે, તાલુકા કક્ષાએથી પ્રમાણપત્રો મેળવવા આવરા અધિકારી તેમજ તાલુકા કચેરીમાં આવતા આચાર્યોએ ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. એવી પણ માહિતી મળી છે કે, જે આચાર્ય કે શિક્ષક માસ્ક પહેર્યા વિના આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.